સુદામા નો ઈતિહાસ પોરબંદર

Feb 6, 2026 - 22:58
 0  3
સુદામા નો ઈતિહાસ પોરબંદર

સુદામા નો ઈતિહાસ પોરબંદર 

સુદામાપુરી અથવા પોરબંદર જૂનાગઢથી રોડ રસ્તે ૧૦૫ કિલો મીટર છે. હર્ષદથી માત્ર ૩૦ કીલો મીટર થાય છે.

વ્હાલા વાંચક પોરનો અર્થ થાય છે નાની એવી વસાહત, સમુદ્ર કાંઠાની આવી વસાહતની વસતીને પોર કહેવાય છે. આવા પોરમાં મિત્રોની અતુટ સ્નેહકથા, મિત્ર પ્રેમથી પાંગરેલી આ વસાહત શહેર બનીને આજે પોરબંદરથી સુપ્રસિદ્ધ છે.

અહીં એક સમયે શ્રી કૃષ્ણના બાલ સંખા સુદામા વસતા હતા તેથી સુદામાપુરી પણ કહેવાય છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આ જન્મભૂમિ છે.

બાલક સુદામા અને બાલ કૃષ્ણ વિદ્યા અભ્યાસ માટે ગુરૂ સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા ખાસ બાલ મિત્રો હતા.

સુદામાએ વિદ્યા પ્રાપ્તિ પછી ગુરૂ પાસે અયાચક વ્રત 'કોઈ પાસે માંગવું નહીં એવો નિયમ લીધેલો હતો. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરી સપત્ની તેઓ પોરમાં રહેતા હતા ત્યારે બાલ સખા કૃષ્ણ દ્વારકાના રાજા બની રાજધાનીમાં બેઠા બેઠા ભારતની રાજનિતિ ઘડતા હતા.

સુદામા અયાચક વ્રત નિયમ પાળતા હતા જેથી તેનું સંસારી જીવન દરિદ્રાવસ્થામાં વહન થતુ હતું. આ ટેકવાળા સુઘમાના પત્નીને વિચાર થયો કે કૃષ્ણ અને મારા સ્વામી બાલમિત્રો હતા.

જો કોઈ દિ' દ્વારકાના રાજા કૃષ્ણને મળવા સુદામા જાય તો આ જીવનભરની ગરીબી જરૂર દુર થાય.

આથી સુશીલ પત્નીએ વિચાર કરીને એક દિવસ સુદામાને કહ્યું કે હે નાથ, તમારા બાલમિત્ર દ્વારકાના રાજા બન્યા છે તો મિત્રને મળવાનું મન થતું નથી ? એક વખત મિત્રને મળવા તો જાવ.

સુદામા કહે ! એવા મારા નસીબ ક્યાંથી ? કે બાલ મિત્રને મળવા જાઉં ! પણ હું રહ્યો અકિચન ઘણે વખતે મળતા બાલ સખા પાસે ખાલી હાથે કેમ જવાય ?

આથી સુદામાના પત્નીએ ભેટ આપવા ચોખામાંથી તાંદુલ (પૌવા) બનાવ્યા અને સુદામાને આપી કૃષ્ણને મળવા દ્વારકા મોકલ્યા. અશક્ત શરીરે સુદામાજી ઘણા સમયે દ્વારકા પહોંચ્યા.

કૃષ્ણના મહેલે જઈ દ્વારપાલને કહ્યું કે શ્રીકૃષ્ણને કહો મિત્ર સુદામા મળવા આવ્યા છે. દ્વારપાલના આ સમાચાર સાંભળતાંજ કૃષ્ણ દોડતા જઈ સુદામાને મહેલના દરવાજામાં ભેટી પડયા. અશક્ત મિત્રને પોતાનો ટેકો આપી નીજ મહેલમાં લઈ આવ્યા. અતિથિમિત્ર સુદામાના કુશળ સમાચાર પુછી, ચરણ ધોયા, આસન આપી નિરાંતે વાતો કરવા બંને બાલમિત્રો બેઠાં છે.

કૃષ્ણ વાતો યાદ કરે છે, અરે સુદામા એક દિ’ જંગલમાં લાકડાં લેવા સાથે ગયાને ઘનઘોર વરસાદ થયો હતો, સુદામા કહે મને બરાબર યાદ છે તમારા ભાગના ચણા ગુરૂજીએ મને આપેલ તે હું જ ખાઈ ગયો હતો અને વરસાદ તુટી પડતાં આપણને જંગલમાં ગુરૂજી ગોતવા નીકળેલ હતાં. આમ ગુરૂ આશ્રમની વાતો યાદ કરતા કરતા ભોજન સમય થયો હતો, ત્યારે સંકોચાતા સંકોચાતા સુદામાએ સાથે લાવેલ તાંદુલ મિત્રને ધર્યાં.

પ્રભુએ તેજ વખતે સાકર અને દુધમાં પૌવા પ્રેમપૂર્વક જમ્યા અને તેનું પૂન્ય સુદામાને અર્પણ કર્યું. આથી સુદામાના દારિદ્રનો નાશ થયો. મિત્રની ઘણા દિવસ

મહેમાનગતી માણી સુદામાએ પોર પ્રતિ પ્રયાણ કર્યું. વસાહતમાં આવી જુવે છે તો સાધન સંપન્ન પોતાનું ઘર જોયું અને પ્રસન્ન થયાં. અયાચક મિત્રની જીવનભરની ગરીબી દુર કરનાર કૃષ્ણને યાદ કરીને ઈષ્ટ ભક્તિમાં જીવન પસાર કર્યું.

વખત જતાં સમુદ્ર કાંઠાનું બંદર હોવાથી પોર વસાહતનો વિકાસ થયો અને પોરબંદર શહેર થયું.

પોરબંદર શહેરમાં સુદામા ચોક છે. ચોકમાં સુદામાજીનું પ્રાચીન મંદિર છે. મંદિર ફરતા વિશાળ ચોગાનમાં સત્સંગ ચાલતોજ રહે છે. અહીં 'ભૂલ ભૂલામણીની રચના થયેલી છે, તેમાં ચાલીને લોકો પાપ- પૂન્યની ગણના કરે છે. આ એક વિરલ દ્રશ્ય છે.

જીવનમાં આપણે સાથે શું આવશે ? તે પાપ પૂન્યની ગણના કરતા આ લોકોને જોઈ જરૂર યાદ આવશે. અહીંનું પ્લેનેટોરીયમ કહેતા તારામંદિર ખાસ જોવાલાયક છે.

ખગોળ અને વિજ્ઞાનની અજાયબી જોવા ખાસ જવું. ગ્રહો, તારા અને નક્ષત્રો જોશો. ચંદ્રના ૨૭ પત્નીના નામના નક્ષત્રોથી પરિચિત થવાનું ભુલશો નહીં. સામેજ ભારત દર્શન જોવાલાયક સ્થળ છે. અહીંયા સમગ્ર ભારતના સુંદર સ્થળો, પૌરાણીક પ્રસંગોના ચિત્રો અને મહાપુરૂષોની પ્રતિમાઓ છે. ભારતીય સંસ્કૃતિની પ્રત્યક્ષ માહિતી આપતું દર્શન જરૂર કરશો. ચોપાટી અને મહાત્મા ગાંધીનું જન્મ સ્થાન કિર્તી મંદિર જઈ આવશો. - અસ્તુ

અકિચન મિત્રની ભેટ તાંદુલ (પૌવા) આજે પણ દ્વારકાધીશને વરસમાં એક દિવસ આસો માસની શરદ પૂનમના ધરાવાય છે. આમ સહુને બાલ મિત્રને યાદ રાખવાનો સંદેશો રણછોડરાય આપે છે.

તે દિ' પૌવા ભાગ્યેજ કોઈ ગૃહસ્થ પત્ની બનાવે છે. તેથી બજારના પૌવા ખરીદી દુધ-સાકરમાં આજે પણ ભગવાનને સૌરાષ્ટ્રમાં ધરાવાય છે. અને આજે પણ પૌવાનો ચેવડો મિત્રો માટે

કંઈક પણ સાથે લઈ જવાની ભાવના ભરેલી ભેટ છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow